મેદસ્વીતા અને તેને સંબધિત અન્ય બીમારીઓ જીવનની ગુણવત્તાને નિમ્નકક્ષાની બનાવે છે. પરંતુ, વૃદ્ધ વ્યક્તિમાં, તે પરિસ્થિતિ વધુ હેરાન કરનાર હોય છે. કેટલીકવાર તો રોજિંદી પ્રવૃતિઓ જાતે કરવું પણ ખુબ મુશ્કેલ થઈ જાય છે. પોતાની સંભાળ માટે પણ અન્યની મદદની જરૂર પડી શકે છે. ઘણી વખત ઉંમરના કારણે પણ બેરિયાટ્રિક સર્જરીને ધ્યાનમાં લેવામાં આવતી નથી. ખરેખર, તો આ એ જ લોકો છે કે જેમને આ સર્જરીનો મહત્તમ ફાયદો થાય છે અને જો પૂરતી કાળજી અને સાવચેતીથી કરવામાં આવે તો એકદમ સુરક્ષિત રીતે કરી શકાય છે.
જેમ આપણે સૌ જાણીએ છીએ કે સ્થૂળતા તેની સાથે ઘણી સમસ્યાઓ લઈને આવે છે. આ સમસ્યાઓમાં મુખ્યત્વે આરોગ્યને લગતી સમસ્યાઓ, હલનચલન સંબધિત સમસ્યાઓ, સામાજિક તથા આર્થિક સમસ્યાઓ હોય છે. આ બધી સમસ્યાઓમાં, ખાસ કરીને આરોગ્યને લગતી અને હલનચલન સંબધિત સમસ્યાઓને લીધે વૃદ્ધોને વધુ પડતી તકલીફ થતી જોવા મળે છે.
યુવાન મેદસ્વી વ્યક્તિઓમાં મેદસ્વિતાને કારણે વિવિધ અંગોને થતાં નુકશાનને સહન કરવાની ક્ષમતા વૃદ્ધ મેદસ્વી વ્યક્તિઓની તુલનામાં વધુ હોય છે. આથી જ, તમે એવા ઘણા યુવાન મેદસ્વી લોકોને જોતા હશો કે તેઓ તેમનું જીવન સારી રીતે જીવી શકે છે અને વધુ વજન હોવાં છતાં તેમને વધુ પડતી શારીરિક સમસ્યાઓ હોતી નથી. મોટેભાગે તે એટલાં માટે છે કે તેમની નાની ઉંમર તેમનું સકારાત્મક પાસું છે. તેમ છતાં, યુવાનોમાં સ્થૂળતા શરીરના વિવિધ તંત્રોને નુકશાન પહોંચાડી રહી છે, જે બહારથી દેખાતું નથી. જયારે નુકશાન એક ચોક્કસ સ્તર કરતાં વધી જાય, ત્યારે તે વિવિધ સમસ્યાઓના સ્વરૂપે સ્પષ્ટ દેખાવા લાગે છે. આપણા શરીરની નુકશાન સહન કરવાની ક્ષમતા ઘણી બઘી છે જેથી નુકશાન 70-80% ના થાય ત્યાં સુધી સમસ્યાઓ દેખાતી નથી. આ શરીરના મોટાભાગના અવયવોને લાગુ પડે છે, પછી તે લીવર, હૃદય, કિડની હોય કે તમારાં ઘૂંટણ હોય. બીજી બાજુ, વૃદ્ધ મેદસ્વી વ્યક્તિઓમાં યુવા મેદસ્વી વ્યક્તિઓની તુલનામાં, આ સમસ્યા વધુ પ્રમાણમાં ઓછા વજન સાથે પણ જોવા મળે છે.
તેઓ માટે ખુબ જ મહત્વની સમસ્યા તેમના ઘુંટણના, થાપાના અને પીઠના દુખાવાની છે. સાંધા અને હાડકાના દુઃખાવાને કારણે ઘણી બધી સામાન્ય પ્રવૃતિઓ સ્વંતત્ર રીતે કરવું તેમના માટે મુશ્કેલ બની જાય છે. વૃદ્ધ મેદસ્વી સ્ત્રીઓ માટે આ સમસ્યા આનાથી પણ વધારે છે. જો તેઓ પડી જાય અને તેમનાં હાડકાં તૂટી જાય(ફ્રેક્ચર થાય) તો સમસ્યા એથીએ વકરી જાય છે. સર્જરી જોખમી બની જાય છે અને રિકવરી ખુબ ધીમી હોય છે. સર્જરી પછી કરવામાં આવતાં આરામને કારણે વજન વધે છે અને તેને કારણે સાંધાનો દુઃખાવો પણ વધે છે. આ બધું એક વિષચક્ર બનાવે છે જેમાંથી બહાર આવવું મુશ્કેલ હોય છે. આ ઘૂંટણ અને પીઠની સમસ્યાઓ માટેની વૈકલ્પિક સર્જરી માટે પણ લાગુ પડે છે. આ જ કારણસર ઘણાં બધાં ઓર્થોપેડિક સર્જનો ઘૂંટણની અને પીઠની સર્જરીનું આયોજન કરતાં પહેલાં બેરિયાટ્રિક સર્જરી કરવાનું સૂચન કરે છે. ઘણી વખત, વજન ઘટ્યાં પછી ઘૂંટણની અને પીઠની સર્જરીની જરૂર રહેતી નથી. અને જો તે જરૂરી હોય તો તેના પરિણામ અને રિકવરી વધુ સારા હોય છે.
ઘણાં વૃદ્ધ સ્ત્રી દર્દીઓ કે જેમને યુરીનરી ઈન્કન્ટીનન્સ (એટલે એવી સ્થિતિ જે તેમને બાથરૂમમાં ન પહોંચે ત્યાં સુધી પેશાબ રોકી રાખવાનું મુશ્કેલ બનાવે છે)ની સમસ્યા થાય છે, તે તેમની વ્યક્તિગત સ્વચ્છતાને અસર કરે છે. તે વારંવાર પેશાબમાં ચેપ અને એન્ટિબાયોટિક્સના લાંબા કોર્સની વારંવાર જરૂરિયાત તરફ દોરી જાય છે. સારી સ્વચ્છતા જાળવવાની અસમર્થતા પણ સતત ખરાબ ગંધ તરફ દોરી જાય છે. તે વ્યક્તિના ગૌરવને અસર કરે છે અને બહાર જવાનો અને સામાજિક રીતે સક્રિય થવાનો ડર પેદા કરે છે.
મેદસ્વીતા સંબધિત હલનચલનની તકલીફો ઉપરાંત,આરોગ્યને લગતી અન્ય સમસ્યાઓ જેવીકે ડાયાબિટીસ, ઊંચું લોહીનું દબાણ, શ્વાશ સંબધિત સમસ્યાઓ, તથા વેરીકોઝ વેઇનની સમસ્યાઓ પણ ખુબ સામાન્ય છે. વૃદ્ધ લોકોમાં આ બધી સમસ્યાઓ સામાન્ય છે, અને જો તેઓ મેદસ્વી હોય તો આ બધી સમસ્યાઓ વકરી જાય છે અને નિયંત્રણની બહાર થઈ જાય છે. દવાઓનો ડોઝ વધુ હોવા છતાં, સુગર અને લોહીનું દબાણ ઊંચું રહે છે. જયારે આ બન્ને યોગ્ય રીતે નિયત્રિંત ના થાય તો તે આગળ જતાં હાર્ટએટેક, કિડની અને લિવરનું ફેઈલ થવું જેવી વધુ મોટી સમસ્યા તરફ દોરી જાય છે. સામાન્ય વજનવાળા વૃદ્ધોની તુલનામાં મેદસ્વી વૃદ્ધોમાં આ બધી સમસ્યા વધુ જોવા મળે છે.
વૃદ્ધાવસ્થા શાંતિ અને આનંદથી ભરપૂર હોવી જોઈએ, પરંતુ આ બધી સમસ્યાઓ તેને સતત સંઘર્ષમય બનાવે છે. દર્દી પોતે તો સંઘર્ષ કરે જ છે અને સાથે તેમનો પરિવાર પણ. તેમના તમામ પ્રયત્નો અને કાળજી છતાં, પરિવાર દર્દીની પરિસ્થિતિમાં કોઈ સુધારો લાવી શકતા નથી. વજનનો ઘટાડો ઉપર જણાવેલી પરિસ્થિતિમાં ધરખમ ફેરફાર લાવે છે. પૂરતું વજન ઘટતાં જ, અડધી સમસ્યાઓ આપોઆપ ચાલી જાય છે, અને બાકીની સમસ્યાઓનો મુકાબલો સરળતાથી કરી શકાય છે.
યુ.એસ.માં થયેલ સર્વેના આંકડાઓ દર્શાવે છે કે 65થી વધુ ઉંમરના 30-35% દર્દીઓ મેદસ્વી છે. આપણી પાસે ભારતીયો માટે સત્તાવાર આવી કોઈ માહિતી નથી, આમ છતાં, આપણે ત્યાં પણ અંદાજે 15-20% વૃદ્ધો મેદસ્વી છે અને સમય સાથે આમાં ખુબ ઝડપથી વધારો થઈ રહ્યો છે. વધતાં જતાં બોજ સાથે, હવે સમય આવી ગયો છે કે આ વધતી જતી સમસ્યા પ્રતિ જાગૃત થઈએ. મેદસ્વીતાના પ્રારંભિક તબક્કે જ તેને રોકવા માટે જરૂરી પગલાં લેવાની ખાસ જરૂર છે. સાથે એ પણ જાણવું જરૂરી છે કે એકવખત વ્યક્તિનું વજન વધી જાય તે પછી પણ બેરિયાટ્રિક(મેદસ્વિતાની અથવા વજન ઘટાડવાની) સર્જરીથી કાયમી વજન ઘટાડી સારાં પરિણામ મેળવી શકાય છે.
દરેક મેદસ્વી વ્યક્તિઓને બેરિયાટ્રિક સર્જરીની જરૂર નથી. પરંતુ, ઘણાં મેદસ્વી દર્દીઓ માટે બેરિયાટ્રિક સર્જરી સિવાય અન્ય કોઈ સારો વિકલ્પ રહેતો નથી. સાંધાના દુખાવા, સ્નાયુની નબળાઈ, ઓછી તાકાતને કારણે, તેઓ પોતાનું પણ વજન ઊંચકી શકતા નથી. તેમના માટે વજન ઘટાડવા સખ્ત કસરત કરવી તો લગભગ અશક્ય છે અને માત્ર આહાર પરનું નિયત્રંણ કામ આવતું નથી. જો સમયસર બેરિયાટ્રિક સર્જરી કરવામાં ના આવે તો થોડાં જ સમયમાં વજન વધી જાય છે અને પછી તેઓ હંમેશા માટે પથારી કે ખુરશીમાં બંધાઈ જાય છે. અને પછી તો અનેક ગણી સમસ્યાઓ સર્જાય છે.
તદુપરાંત, મેદસ્વિતાને કારણે ઉપર જણાવેલી આરોગ્ય સંબધિત સમસ્યાઓમાંની ઘણી સમસ્યાઓની સારવાર વધુ કઠિન બને છે. આ ડાયાબિટીસની સારવાર, લોહીનું ઊંચું દબાણ, વેરીકોઝ વેઇન અને ઘૂંટણની સર્જરીને પણ લાગુ પડે છે. અને આથી જ અન્ય સર્જરી કરતાં પહેલાં ઘણી વખત બેરિયાટ્રિક સર્જરીની સલાહ આપવામાં આવે છે. દાખલા તરીકે, ઘૂંટણની સર્જરી, કિડની કે લીવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરતાં પહેલાં મેદસ્વિતાની પરિસ્થિતિમાં પહેલાં બેરિયાટ્રિક સર્જરીની સલાહ આપવામાં આવે છે. વજન ઘટાડવાની સર્જરી વગર, આ સર્જરીનાં પરિણામો ઓછાં સારા હોય છે અને આથી જ આ બધાંની જરૂર છે.
બેરિયાટ્રિક સર્જરીથી આવતો કાયમી વજનનો ઘટાડો દર્દીને થતી મોટાભાગની સમસ્યામાં સુધારો લાવે છે. આથી, તેમની આરોગ્યને લગતી સમસ્યાઓની સારવાર સરળ બને છે. રોગ નિયંત્રણમાં રહે છે અને મોટી સમસ્યા ટાળી શકાય છે.
હા, એ વાત સાચી છે કે બેરિયાટ્રિક સર્જરી એક મોટી સર્જરી છે. તમામ મોટી સર્જરીઓની જેમ, બેરિયાટ્રિક સર્જરીના પણ પોતાના જોખમો છે. અનેક શારીરિક સમસ્યાઓ ધરાવતાં વૃદ્ધ દર્દીઓમાં જોખમ વધુ હોય છે. પરંતુ એ પણ સાચું છે કે જો આ સર્જરી યોગ્ય સાવચેતી સાથે અને પ્રમાણિત રીતે કરવામાં આવે તો આ જોખમો નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. બેરિયાટ્રિક સર્જરી એ વૃદ્ધ દર્દીઓમાં સારા પરિણામો સાથે કરવામાં આવતી ખૂબ જ સામાન્ય સર્જરી છે. અને આ સર્જરીના ફાયદા તેના જોખમોની તુલનામાં ઘણા વધારે છે.
આ ઉપરાંત, હલનચલનમાં તથા ઘૂંટણ અને કમરના દુઃખાવામાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે. દર્દી માટે પોતાની સંભાળ પોતાની જાતે રાખવું શક્ય બને છે.
एसिड रिफ्लक्स, एसिडिटी या GERD: खान पान और जीवनशैली के बदलाव