8156078064
8469327630 SCHEDULE A CONSULTATION
Dr.Chirag Thakkar
Sleeve gastrectomy or gastric bypass, which bariatric surgery is better for you

સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી કે ગેસ્ટ્રિક બાયપાસ: તમારા માટે કઈ બેરિયાટ્રિક સર્જરી વધુ સારી છે?

અનુક્રમણિકા:

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 (NFHS-5) ના ડેટા પર આધારિત અભ્યાસ મુજબ, ભારતમાં આશરે 40% સ્ત્રીઓ અને 12% પુરુષો મેદસ્વી છે (સ્ત્રોત). UpToDate મુજબ, દર વર્ષે વિશ્વભરમાં આશરે 580,000 લોકો બેરિયાટ્રિક સર્જરી કરાવે છે.

બેરિયાટ્રિક સર્જરી હાલમાં મોર્બિડ મેદસ્વીતા માટે સૌથી અસરકારક સારવાર વિકલ્પ છે. જો તમે બેરિયાટ્રિક સર્જરી કરાવવાનું નક્કી કરી જ લીધું હોય તો, તે પરિસ્થિતિમાં, તમને પહેલો પ્રશ્ન એ થઈ શકે છે કે કઈ સર્જરી પસંદ કરવી: સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી કે ગેસ્ટ્રિક બાયપાસ?

હું શરૂઆતમાં જ સ્પષ્ટ કરીશ કે વજન ઘટાડવાની સર્જરી કરાવતા મોટાભાગના દર્દીઓ માટે, આ બંને સર્જરી એક સ્વીકાર્ય વિકલ્પ છે. આનો અર્થ એ છે કે તમારી પ્રાથમિકતાઓ અને અપેક્ષાઓ પર આધાર રાખીને, તમને સર્જરી પસંદ કરવાની સ્વતંત્રતા મળશે. જો કે, બેરિયાટ્રિક (મેદસ્વીતાની) સર્જરી પહેલાં તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણવી જોઈએ. કઈ સર્જરી કરાવવી તે નિર્ણય તમારી અપેક્ષાઓ સાથે સુસંગત બનાવવા અને કોમ્પ્લિકેશનને ટાળવા માટે તમારે તમારા સર્જન પાસેથી ચોક્કસ માર્ગદર્શનની જરૂર પડશે.

આદર્શ પરિસ્થિતિમાં,આ નિર્ણય દર્દી અને સર્જન દ્વારા યોગ્ય ચર્ચા પછી સંયુક્ત રીતે લેવામાં આવે છે. જ્યાં દર્દી તેમની અપેક્ષાઓ અને પ્રાથમિકતાઓની ચર્ચા કરે છે, અને સર્જન દરેક પ્રક્રિયાના ફાયદા અને ગેરફાયદાની અને આ અપેક્ષાઓને ઓછામાં ઓછા કોમ્પ્લિકેશન અને પ્રતિકૂળ અસરો સાથે કેવી રીતે પૂર્ણ કરી શકાય છે તેની ચર્ચા કરે છે. અહીં, હું બંને સર્જિકલ વિકલ્પોના હકારાત્મક અને નકારાત્મક પાસાઓની ચર્ચા કરીશ.

સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી સર્જરી શું છે?

જઠરનો મોટો ભાગ કાઢીને એક નાનું, સ્લીવ આકારનું પાઉચ બનાવવામાં આવે છે, જે દર્દીઓને ઓછું ખાવામાં અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી સર્જરી, જેને ગેસ્ટ્રિક સ્લીવ પણ કહેવાય છે, તેમાં જઠરનો એક ભાગ કાપીને દૂર કરવામાં આવે છે. બાકીના જઠરને પાતળી નળી જેવું બનાવે છે. આનાથી ખોરાકની માત્રા મર્યાદિત થાય છે અને ખોરાક આંતરડામાં ઝડપથી જાય છે. જઠરનો આ ભાગ દૂર થવાથી અને ખોરાકના આંતરડામાં ઝડપથી પહોંચવાથી તમારા GUT હોર્મોન્સમાં ફેરફાર થાય છે. આ બધું જ તમારા વજનને ઘટાડવામાં, તમારા મેટાબોલિઝમને સુધારવામાં, તમારી મેડિકલ સમસ્યાઓ સુધારવામાં અને તમારા ઘટેલા વજનને જાળવી રાખવામાં મદદ કરે છે.

સ્લીવ ગેસ્ટ્રેક્ટોમીના ફાયદા (સકારાત્મક પાસાઓ)

  1. ગેસ્ટ્રિક સ્લીવ સર્જરી ગેસ્ટ્રિક બાયપાસ કરતાં ટેકનિકલી વધુ સરળ છે. તમારા પાચનતંત્રમાં ઓછા ફેરફારો થાય છે, અને ગેસ્ટ્રિક બાયપાસની તુલનામાં તે તમારા શરીરની ફિઝિયોલોજી પર ઓછી અસર કરે છે.
  2. તમારા આંતરડાના કોઈપણ ભાગનું બાયપાસિંગ થતું નથી, ખાસ કરીને નાનાં આંતરડાના ભાગો જેવાકે ડયુઓડીનમ અને પ્રારંભિક જેજયુનમ, જે મહત્વપૂર્ણ પોષક તત્વોના શોષણ માટેની જગ્યા છે. તેથી, કુપોષણની શક્યતા, એટલે કે, વિટામિન, આયર્ન, કેલ્શિયમ અને પ્રોટીનની ઉણપ, ગેસ્ટ્રિક બાયપાસ કરતા નોંધપાત્ર રીતે ઓછી છે. આનાથી તે યુવાન દર્દીઓ(40 વર્ષથી ઓછી ઉંમરના), અને તેમાં પણ ખાસ કરીને એવી સ્ત્રીઓ માટે પસંદગીની સર્જરી બને છે જે બેરિયાટ્રિક સર્જરી પછી ભવિષ્યમાં ગર્ભાવસ્થાની યોજના બનાવી શકે.
  3. આ અંગોના અન્ય કોઈપણ રોગ માટે, જઠરના બાકીના ભાગ અને ડયુઓડીનમની એન્ડોસ્કોપિક તપાસ જીવનભર શક્ય છે. ગેસ્ટ્રિક બાયપાસના કિસ્સામાં આવું નથી.

સ્લીવ ગેસ્ટ્રેક્ટોમીના ગેરફાયદા (નકારાત્મક પાસાઓ)

  1. ગેસ્ટ્રિક બાયપાસ કરતાં, આ સર્જરી વજન ઘટાડવા માટે ઓછી અસરકારક સર્જરી છે. કેટલાક દર્દીઓમાં, વજનમાં ઘટાડો અપૂરતો હોઈ શકે છે. ખાસ કરીને ખૂબ ઊંચા BMI (BMI > 45) ધરાવતા દર્દીઓમાં, અથવા વૃદ્ધ દર્દીઓમાં અથવા મર્યાદિત હલનચલન ધરાવતા દર્દીઓમાં. ધારો કે દર્દી નિયમિતપણે મીઠાઈ ખાવાનું ચાલુ રાખે છે અથવા નિયમિતપણે વધુ કેલરીવાળા ડ્રિંક્સ પીવે છે. તે કિસ્સામાં, તે વજનનો ઘટાડો અપૂરતો હોય શકે છે.
  2. ગંભીર ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ માટે આ વિકલ્પની પસંદગી બરાબર નથી કારણ કે ગેસ્ટ્રિક બાયપાસની તુલનામાં મેટાબોલિઝમમાં સુધારો (ડાયાબિટીસ અને વધુ કોલેસ્ટ્રોલમાં સુધારો) આ વિકલ્પમાં ઓછો થાય છે.
  3. GERD, એસિડ રિફ્લક્સ અથવા હાયટસ હર્નીયા ધરાવતા મેદસ્વી દર્દીઓ માટે, સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી સર્જરી પછી તેમની GERD ની તીવ્રતામાં વધારો થાય તેવી શક્યતા છે. આવા દર્દીઓ માટે ROUX-EN-Y ગેસ્ટ્રીક બાયપાસ(RYGB) આદર્શ વિકલ્પ છે.

Related Posts

ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી શું છે?

જઠરનો કાપી નાખાયેલો ભાગ અને નવું ગેસ્ટ્રિક સ્લીવ જઠર

ગેસ્ટ્રિક બાયપાસ સર્જરીમાં, જઠરને નાનું કરવા તેના ઉપરના ભાગમાંથી એક નાનું પાઉચ(થેલી) બનાવી તેને જઠરના બાકીના ભાગ અને ડયુઓડીનમને બાયપાસ કરીને જેજયુનમ સાથે જોડવામાં આવે છે.

ગેસ્ટ્રિક બાયપાસ સર્જરીમાં, જઠરના ઉપરના ભાગમાંથી એક નાનું પાઉચ(થેલી) બનાવી તેને જઠરના બાકીના ભાગથી અલગ કરી નાખવામાં આવે છે અને તેમાં અન્નનળી ખુલે છે, આ પાઉચ(થેલી) જઠરના બાકીના ભાગ અને ડયુઓડીનમને બાયપાસ કરીને આંતરડાના મધ્ય ભાગ એટલે કે જેજયુનમ સાથે જોડાય છે. બાયપાસ થયેલ જઠર અને આંતરડાનો શરૂઆતનો ભાગ એટલે કે ડયુઓડીનમ પેટ માં હશે પરંતુ તેનો ઉપયોગ થશે નહીં કારણ કે ખોરાક અન્નનળીમાંથી પાઉચ(થેલી)માં અને પછી જેજયુનમમાં જશે.

જઠર અને આંતરડાના શરૂઆતના ભાગ (ડયુઓડીનમ અને શરૂઆતના જેજયુનમ) ને બાયપાસ કરવાથી GUT હોર્મોન્સમાં નોંધપાત્ર ફેરફારો થાય છે, જે સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી પછી થતાં GUT હોર્મોન્સમાં ફેરફારો કરતા ઘણા વધારે છે. હોર્મોનલ ફેરફારો, આહારમાં નિયંત્રણ અને શોષણમાં ઘટાડો, આ બધાથી વજનમાં ઘટાડો અને ડાયાબિટીસ અને અન્ય મેડિકલ સમસ્યાઓમાં સુધારો થાય છે.

ગેસ્ટ્રિક બાયપાસના ફાયદા (સકારાત્મક પાસાઓ)

  1. ગેસ્ટ્રિક બાયપાસ એ ગેસ્ટ્રિક સ્લીવ કરતાં વધુ અસરકારક વજન ઘટાડવાની સર્જરી છે. 45 થી વધુ BMI ધરાવતા દર્દીઓ માટે તે પસંદગીનો વિકલ્પ છે. સર્જરી પછી લાંબા સમય સુધી ઘટેલું વજન જાળવી રાખવા માટે પણ ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી વધુ સારી છે.
  2. મેટાબોલિક સુધારા માટે ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી,ગેસ્ટ્રીક સ્લીવ કરતાં વધું સારો વિકલ્પ છે. ડાયાબિટીસના દર્દીઓ કે જેમનો ડાયાબિટીસ કન્ટ્રોલમાં ના રહેતો હોય કે ડાયાબિટીસ ઘણા વર્ષોથી હોય તેમના માટે આ સર્જરી આદર્શ છે.
  3. ROUX-EN-Y ગેસ્ટ્રીક બાયપાસ(RYGB), GERD અને એસિડ રિફ્લક્સની સારવાર કરે છે. સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી પછી એસિડ રિફ્લક્સ વધે છે, તેથી GERD ધરાવતા મેદસ્વી દર્દીઓ માટે RYGB આદર્શ વિકલ્પ છે. આવા દર્દીઓમાં, BMI 45 કરતા ઓછો હોય અને દર્દીને ડાયાબિટીસ ન હોય તો પણ RYGB પસંદ કરવામાં આવે છે.
  4. જે લોકો મીઠાઈને પ્રેમ કરે છે અથવા ઈચ્છે છે, તેઓમાં ગેસ્ટ્રિક બાયપાસ પછી વર્તનમાં ફેરફાર થાય છે. કોઈપણ પ્રયત્ન વગર મીઠાઈઓ માટેની તેમની તૃષ્ણા અથવા ઈચ્છા ઓછી થાય છે. આ પ્રકારનો વર્તનમાં બદલાવ, સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી પછી પણ કેટલાક દર્દીઓમાં આ થઈ શકે છે પરંતુ તે ગેસ્ટ્રિક બાયપાસ સર્જરીનું આ એક મુખ્ય લક્ષણ છે.

ગેસ્ટ્રિક બાયપાસના ગેરફાયદા (નકારાત્મક પાસાઓ)

  1. સ્લીવ ગેસ્ટ્રેક્ટોમીની તુલનામાં આ ટેકનિકલી વધુ જટિલ સર્જરી છે. પાચનતંત્ર અને એકંદર ફિઝિયોલોજીમાં વધુ નોંધપાત્ર ફેરફારો કરે છે.
  2. આ સર્જરીમાં કુપોષણની શક્યતા વધારે છે (તે આંતરડાની કેટલી લંબાઈ બાયપાસ કરવામાં આવે છે તેના પર આધાર રાખે છે, જે વ્યક્તિગત દર્દીના BMI અને મેડિકલ સમસ્યાઓ અનુસાર નક્કી કરાય છે). તેથી, ગેસ્ટ્રિક બાયપાસ પછીના દર્દીઓએ સપ્લીમેન્ટ્સ લેવામાં, નિયમિત ફોલો-અપ્સમાં અને બ્લડ ટેસ્ટમાં વધુ શિસ્તબદ્ધ રહેવું જોઈએ.
  3. ગેસ્ટ્રિક બાયપાસવાળા દર્દીઓમાં એનાસ્ટોમોટિક સાઇટ(જઠરના પાઉચ અને આંતરડા વચ્ચેનો સાંધા)નું અલ્સર, ડમ્પિંગ સિન્ડ્રોમ અને ઇન્ટર્નલ હર્નીયા જેવા કોમ્પ્લિકેશન શક્ય છે. જોકે આ કોમ્પ્લિકેશન અસામાન્ય એટલે કે ક્યારેક જ થતાં હોવા છતાં, જ્યારે આમાંના કોઈપણ કોમ્પ્લિકેશન થાય ત્યારે તેને વધુ સારવાર અથવા સર્જરીની જરૂર પડી શકે છે.
  4. ધુમ્રપાન કરનારાઓને એનાસ્ટોમોટિક અલ્સર થવાની શક્યતા વધુ હોય છે. તેથી, જેઓ નિયમિતપણે ધૂમ્રપાન કરે છે અને સર્જરી પછી ધૂમ્રપાન છોડવાની શક્યતા ઓછી હોય છે તેઓએ ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી ટાળવી જોઈએ.
  5. જે લોકો નિયમિતપણે આલ્કોહોલનું સેવન કરે છે તેઓ માટે પણ ગેસ્ટ્રિક બાયપાસ આદર્શ વિકલ્પ નથી. ગેસ્ટ્રિક બાયપાસ પછી કેટલાક દર્દીઓમાં નિયમિત આલ્કોહોલના સેવનને કારણે લીવરને નુકસાન ઝડપી બને છે. તેથી, જેમને સર્જરી પછી આલ્કોહોલ છોડવાની શક્યતા ઓછી હોય તેમણે બાયપાસને બદલે ગેસ્ટ્રિક સ્લીવ પસંદ કરવી જોઈએ. ક્રોનિક લીવર ડિસીઝ અથવા ખૂબ જ એડવાન્સ્ડ ફેટી લીવર ધરાવતા દર્દીઓ માટે પણ આવું જ છે.
  6. ગેસ્ટ્રિક બાયપાસ પછી જઠરના બાકીના ભાગ અને ડયુઓડીનમની નિયમિત એન્ડોસ્કોપિક તપાસ અશક્ય છે. ગેસ્ટ્રિક પાઉચ બાકીના જઠરથી સંપૂર્ણપણે અલગ થઈ જાય છે. જો જરૂરી હોય તો જઠર અને ડયુઓડીનમના નિદાન અને સારવાર માટે અન્ય વિકલ્પોનો ઉપયોગ કરવો જોઈએ.

નિષ્કર્ષ

જો તમે આટલી બધી માહિતીથી મૂંઝવણમાં છો, તો હું તમારા માટે આનો સારાંશ ટૂંકમાં આપીશ.

ગેસ્ટ્રિક સ્લીવ અથવા સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી એ યુવાન દર્દીઓ (ખાસ કરીને ભવિષ્યમાં ગર્ભાવસ્થાની યોજના બનાવતી સ્ત્રીઓ), જેમનું BMI 45 થી ઓછું હોય, ડાયાબિટીસ ન હોય અને GERD/એસિડ રિફ્લક્સ/હાયટસ હર્નિયા ન હોય તેમના માટે એક આદર્શ વજન ઘટાડવાની સર્જરી છે. તે એવા લોકો માટે પણ એક પસંદગીનો સર્જરીનો વિકલ્પ છે કે જેઓ નિયમિતપણે ધૂમ્રપાન કરે છે, નિયમિતપણે આલ્કોહોલનું સેવન કરે છે અને છોડવા માટે ખૂબ મક્કમ નથી

ગેસ્ટ્રિક બાયપાસ એ વધું BMI (BMI > 45) ધરાવતા દર્દીઓ, ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ (ખાસ કરીને જયારે ડાયાબિટીસ પરનો કન્ટ્રોલ ઓછો હોય અથવા લાંબા સમયથી હોય), અને GERD/એસિડ રિફ્લક્સ/હાયટસ હર્નિયા ધરાવતા દર્દીઓ માટે એક આદર્શ વિકલ્પ છે. તે એવા દર્દીઓમાં પણ આ વિકલ્પને ધ્યાનમાં લેવો જોઈએ જેમને મીઠાઈઓ અને વધારે કેલરીવાળા ડ્રિન્ક્સની આદત હોય અથવા ઈચ્છા થતી હોય.

અમે ફક્ત વજન ઘટાડવાનું લક્ષ્ય રાખતા નથી પરંતુ દર્દીઓને શક્ય તેટલું સામાન્ય સ્વાસ્થ્યની નજીક પહોંચવામાં મદદ કરવામાં અને માર્ગદર્શન આપવામાં માનીએ છીએ. તેથી, અમે દર્દીઓને પોતાના માટે જાણકારીભર્યો, સમજપૂર્વક નિર્ણય લેવામાં મદદ કરીએ છીએ અને આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તેમને યોગ્ય સ્વસ્થ આહારની રીત, સારી શારીરિક પ્રવૃત્તિઓ, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને યોગ્ય,પૂરતી ઊંઘ આવે તે માટે માર્ગદર્શન આપીએ છીએ.

ડૉ. ચિરાગ ઠક્કર પાસે સારવારનો દર્દીઓનો અનુભવ

સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી સર્જરી પછી દર્દીનો અનુભવ

સ્લીવ ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી પછી દર્દીનો અનુભવ

સામાન્ય રીતે પૂછતાં પ્રશ્નો

સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી અને ગેસ્ટ્રિક બાયપાસ વચ્ચે મુખ્ય તફાવત શું છે?

જવાબ: સ્લીવ ગેસ્ટ્રેક્ટોમીમાં જઠર નો એક ભાગ કાઢી નાખવામાં આવે છે, જેનાથી જઠર એક નાનું, નળી જેવું બને છે. બીજી બાજુ, ગેસ્ટ્રિક બાયપાસમાં જઠરના ઉપરના ભાગમાંથી એક નાનું પાઉચ બનાવવામાં આવે છે જેને જઠરના બાકીના એક ભાગ અને નાના આંતરડાના શરૂઆતના ભાગને બાયપાસ કરીને સીધા નાના આંતરડાના મધ્ય ભાગ સાથે જોડવામાં આવે છે.

ઉચ્ચ BMI (45 થી વધુ) ધરાવતા દર્દીઓ માટે કઈ સર્જરી વધુ સારી છે?

જવાબ: ગેસ્ટ્રિક બાયપાસ સામાન્ય રીતે ખૂબ ઊંચા BMI ધરાવતા દર્દીઓ માટે પસંદ કરવામાં આવે છે કારણ કે તે સ્લીવ ગેસ્ટ્રેક્ટોમીની તુલનામાં વધુ વજન ઘટાડે છે અને ઘટેલું વજન લાંબા સમય સુધી જાળવી રાખે છે.

ગેસ્ટ્રિક બાયપાસ કરતાં સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી પસંદ કરવાના ફાયદા શું છે?

જવાબ: સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી સરળ પ્રક્રિયા માનવામાં આવે છે અને તેમાં કોમ્લીકેશન થવાની શક્યતા ઓછી છે. ગેસ્ટ્રિક બાયપાસની તુલનામાં તેમાં પોષક તત્ત્વોની ઉણપનું જોખમ પણ ઓછું છે, જે તેને યુવાન દર્દીઓ, ખાસ કરીને ભવિષ્યમાં ગર્ભવતી થવા માંગતી સ્ત્રીઓ માટે વધુ સારી પસંદગી ગણવામાં આવે છે. ધૂમ્રપાન અને નિયમિત આલ્કોહોલ પીવાની આદત ધરાવતા લોકો માટે પણ તે એક પસંદગીની સર્જરી છે.

કોઈપણ બેરિયાટ્રિક સર્જરી પછી પુનઃપ્રાપ્તિનો સમય કેટલો છે?

સર્જરીના દિવસથી જ તમે જાતે ચાલવા લાગશો. ડિસ્ચાર્જ સમયે તમે ઘરે તમારી સંભાળ રાખી શકશો. તમે લગભગ 8-10 દિવસમાં કામ પર પાછા ફરી શકશો, જોકે ચોક્કસ સમય તમારી વ્યવસાય/જીવનશૈલી પર આધાર રાખે છે. કેટલાક વ્યક્તિઓ વહેલા કામ શરૂ કરી શકે છે. જેટલું વહેલું તમે કામ અને સામાન્ય પ્રવૃત્તિઓ શરૂ કરશો, તેટલી ઝડપથી તમારી રિકવરી થશે.

શું કોઈ ચોક્કસ પ્રકારના દર્દીને ગેસ્ટ્રિક બાયપાસથી વધુ ફાયદો થઈ શકે છે?

જવાબ: અનિયંત્રિત ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ અથવા GERD, એસિડ રિફ્લક્સ અથવા હાયટસ હર્નીયાથી પીડાતા દર્દીઓને ગેસ્ટ્રિક બાયપાસથી વધુ ફાયદો થઈ શકે છે. તે ઘણીવાર એવા દર્દીઓ માટે પણ પસંદ કરવામાં આવે છે જેઓને મીઠાઈઓ અને વધું કેલરીવાળા ડ્રિંક્સની ઈચ્છાને દબાવવા માટે ખુબ સંઘર્ષ કરવો પડતો હોય.

સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી અને ગેસ્ટ્રિક બાયપાસ વચ્ચે નિર્ણય લેતી વખતે દર્દીએ કયા પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ?

જવાબ: લાયકાત ધરાવનાર સર્જન સાથે ચર્ચા કરીને નિર્ણય લેવો જોઈએ, જેમ કે:

BMI: વધુ BMI હોય તો ગેસ્ટ્રિક બાયપાસ યોગ્ય વિકલ્પ હોય શકે છે.

મેડિકલ સમસ્યાઓ: ડાયાબિટીસ અથવા GERDના માટે ગેસ્ટ્રિક બાયપાસ અનુકૂળ હોઈ શકે છે. ઉંમર અને ભવિષ્યની યોજનાઓ: નાના દર્દીઓ, ખાસ કરીને ગર્ભવતી બનવા માંગતી સ્ત્રીઓ, સ્લીવ ગેસ્ટ્રેક્ટોમીથી લાભ મેળવી શકે છે.

જીવનશૈલી: ધૂમ્રપાન કરનારા, આલ્કોહોલ પીનારા, અથવા જીવનશૈલીમાં નોંધપાત્ર ફેરફાર કરવા માંગતા ના હોય તેવા લોકો માટે સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી વધુ યોગ્ય હોઈ શકે છે.

તમારી સ્વાસ્થ્ય યાત્રા તમારી વ્યક્તિગત યાત્રા છે. ભલે તમે સામાન્ય વજન વધારાથી, મેદસ્વીતા થી અથવા મેદસ્વીતા સાથે અનેક અન્ય મેડિકલ સમસ્યાઓ થી પરેશાન હોવ, યોગ્ય તબીબી અભિગમ ઘણો બધો ફરક લાવી શકે છે. ડૉ. ચિરાગ ઠક્કર નો અભિગમ દર્દીને સમજ આપવી, ચોકસાઈ અને સહાનુભૂતિપૂર્વકની સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.

જો તમે અમદાવાદમાં શ્રેષ્ઠ વેઈટ લોસ, ઓબેસિટી અને બેરિયાટ્રિક સર્જરી માટેના નિષ્ણાત ડૉક્ટરની શોધ કરી રહ્યાં છો, તો એવા નિષ્ણાતની શોધ કરો કે જે દર્દી-પ્રથમ અભિગમ સાથે પોતાની તબીબી કુશળતાને જોડે. હર્નીયાથી રિકવર થવાનો તમારો માર્ગ તમારા સારવારના વિકલ્પોને સમજવા અને વિશ્વાસુ તબીબ સાથે કામ કરવાથી શરૂ થાય છે. તે માટે અમારો સંપર્ક કરો. માર્ગદર્શન માટે અમને સંપર્ક કરો.

તમે ડૉ. ચિરાગ ઠક્કર સાથે વિડિઓ કન્સલ્ટેશન બુક કરી શકો છો.

એપોઇન્ટમેન્ટ નક્કી કરવા માટે +91-8156078064 / +91-8469327630 પર કૉલ કરો અથવા અમારો સંપર્ક કરો.

કન્સલ્ટેશન માટે ADROIT સેન્ટર ફોર ડાયજેસ્ટિવ એન્ડ ઓબેસિટી સર્જરીની મુલાકાત લો.

અમારી સાથે જોડાયેલાં રહેવા માટે કૃપા કરીને અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.

ડૉ. ચિરાગ ઠક્કર એક ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સર્જન છે. તેઓ છેલ્લા 18 વર્ષથી ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ અને વજન ઘટાડવા/બેરિયાટ્રિક સર્જરી કરી રહ્યા છે. GERD, હાયટસ હર્નિયા અને મેદસ્વીતા માટેની સર્જરી તેમના રસ અને કુશળતાના મુખ્ય ક્ષેત્રો છે. એસિડ રિફ્લક્સ/GERD સારવાર માટે, ADROIT ભારતમાં અગ્રણી કેન્દ્રોમાંનું એક છે, જે એક છત નીચે બધી સુવિધાઓ પૂરી પાડે છે. જટિલ અને વારંવાર થતા હર્નિયાના કિસ્સામાં પણ લેપ્રોસ્કોપિક હર્નિયા સર્જરી દર્દીઓને ઓછામાં ઓછા દુખાવા સાથે ઝડપથી સ્વસ્થ થવામાં મદદ કરે છે અને સર્જરી પછી શ્રેષ્ઠ કાર્યાત્મક પરિણામો આપે છે. તેમને પિત્તાશયની પથરી માટે થતી લેપ્રોસ્કોપિક સર્જરીનો પણ બહોળો અનુભવ છે.

Dr. Chirag Thakkar
Best Hiatus hernia surgeon

Dr Chirag Thakkar
Senior Gastrointestinal and Bariatric surgeon
GERD and Esophageal Motility Expert
Hernia Surgery Specialist
Founder Director of ADROIT Centre for Digestive and Obesity Surgery